ગુરુ પૂર્ણિમાની મહિમા અને કથા | ગુરુ નું મહત્વ | પર્વ ની પાઠશાળા

અષાઢ માસની પૂર્ણિમા એ ઉજવાય છે ‘ગુરુ પૂર્ણિમા’. જેને ‘વ્યાસ પૂર્ણિમા’ પણ કહેવામાં આવે છે. કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુના અંશાવતાર સમાન અને અષ્ટ ચિરંજીવીઓ માંથી એક એવા મહર્ષિ વેદ વ્યાસનો જન્મ થયો હતો. મહાજ્ઞાની વ્યાસજી એ વેદોની રચના કરી એટલે તેમને ‘વેદ વ્યાસ’ તરીકે ગુરુઓના ગુરુ માનવામાં આવે છે. માટે ‘ગુરુ પૂર્ણિમા’ ના દિવસને લોકો મુખ્યત્વે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, મહર્ષિ વેદ વ્યાસ અને પોતપોતાના ગુરુની પૂજા કરી ઉજવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આજે જાણીશું, કે ગુરુ પૂર્ણિમા ઉજવવાનો આપણી ભારતીય સંસ્કૃતિમાં વિશેષ મહત્વ શાથી છે. ગુરુ પૂર્ણિમાની ઉજવણી પુણ્યશાળી અને કલ્યાણકારી મનાય છે. ગુરુ પૂર્ણિમા એ દરેક આસ્તિકો અને ભક્તજનો માટે ભગવાન પ્રત્યે અને ગુરુ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પર્વ છે.