ગુજરાતી મિજાજ અંતર્ગત લેખિકા અરુણા ઠક્કરના પુસ્તક ‘લટઈ’ નું થયું વિમોચન
હાલમાં ગુજરાતી મિજાજ: ગુજરાતી સાહિત્ય સંગીત પર્વ અંતર્ગત અનેકવિધ પ્રવૃત્તિઓ થઇ રહી છે ત્યારે કચ્છના પુરસ્કૃત લેખિકા શ્રીમતી અરુણાબેન ઠક્કર ના ‘લટઈ – ૨’ ઈ-બુકને કૃપ પબ્લિશિંગ દ્વારા વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યું. ગિવ વાચા ફાઉન્ડેશન દ્વારા ભુજ ખાતે આ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેસ્ટ સેલર લેખક ડો. કૃપેશ ઠક્કર, પુરસ્કૃત બાળ સર્જકો વાચા ઠક્કર અને પર્વ ઠક્કર તથા લેખિકા ડો. પૂજા ઠક્કરને હસ્તે પુસ્તકના મુખપૃષ્ઠનું અનાવરણ થયું. આ કાર્યક્રમમાં ગ્લોબલ લિટરેચર એન્ડ કલ્ચરલ ક્લબના સદસ્યો તથા કૃપ પબ્લિશિંગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

વિશ્વસ્તરે ડીજીટલ બુક રીડીંગ પ્લેટફોર્મ પર કચ્છી સાહિત્ય બન્યું ગુજરાતનું પ્રતિનિધિ!
આ પ્રસંગે આનંદ વ્યક્ત કરતાં લેખિકા એ કહ્યું કે “આ પુસ્તકની હિન્દી આવૃત્તિ ‘સખીરી’ ના કૃપ પબ્લિશિંગ દ્વારા કૃપ લિટરેચર ફેસ્ટિવલ અંતર્ગત થયેલા ભવ્ય વિમોચન બાદ ‘લટઈ -૨’ કચ્છી ઈ-બૂક સાથે ડિજિટલ વિશ્વમાં પ્રવેશ કરવાનો મને આનંદ છે.” તો પુસ્તક પરિચય આપતા ડો. પૂજા એ કહ્યું કે “કચ્છી ડિજિટલ પુસ્તકના પ્રકાશન સાથે લેખિકા તરીકે અરુણાબેન ડિજિટલ ક્ષેત્રે પ્રથમ પહેલ આરંભી સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે. એમના આ પુસ્તકમાં સામાન્ય જીવનને સ્પર્શતી અને કચ્છી સંસ્કૃતિને આવરી લેતી કચ્છી લઘુવાર્તાઓ છે. જે હવે ઓનલાઈન માધ્યમે દેશ-વિદેશમાં વસતા વાચકો સુધી પહોંચી છે.”

આ પણ વાંચો: ‘ગુજરાતી મિજાજ’ અંતર્ગત ડી.વી. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માણ્યું ‘અર્જુન ઉવાચ’ મોટિવેશનલ સેમિનાર
તો ડૉ. કૃપેશએ ઉમેર્યું કે “અગાઉ લેખિકાની આ વાર્તાઓને વાચક વર્ગ તરફથી બહોળો પ્રતિસાદ મળતા તે વિવિધ ભાષામાં અનુવાદિત થઈ. ત્યારે તેમની આ કચ્છી ઈ-બુક વિશ્વભરમાં વસતા કચ્છી વાચકો સુધી કચ્છીયતની સુવાસ ફેલાવશે.” વધુમાં કાર્યક્રમમાં ઉપસ્થિત કૃપ પબ્લિશિંગ ના પ્રતિનિધિ એ જણાવ્યું કે “આ સાહિત્ય સંગીત ઉત્સવમાં ગુજરાતી લેખકોના વિવિધ પુસ્તકોના પ્રકાશન થકી અમને ભાષાની સેવા કરવાની તક મળી છે ત્યારે ગુજરાતના સર્જકો અને ગુજરાતી સાહિત્ય દરેક ખૂણે વસતા ગુજરાતીઓ સુધી પહોંચે એ જ અમારો ઉદ્દેશ્ય છે. જે માટે સંસ્થા ‘ગુજરાતી મિજાજ પુસ્તક પ્રકાશન યોજના’ અંતર્ગત વિવિધ સહાય આપશે.” કાર્યક્રમના અંતે ગિવ વાચા ના ટ્રસ્ટી શ્રીમતી નયનાબેન ઠક્કર એ આ ઉત્સવમાં પુસ્તક પ્રકાશિત કરવા ઈચ્છતા લેખકો માટે આર્થિક સહાય આપવાની જાહેરાત કરી. અત્રે ઉલ્લેખનીય છે કે બાળકો અને યુવાઓને ભાષાની સેવા કરવાની પ્રેરણા આપવા આ ઉત્સવમાં ખાસ બાળ સર્જકોના પુસ્તકોનું વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
