ગણેશ ચતુર્થીનો ઈતિહાસ, મહત્વ, કથા અને વ્રત કથા | ગણેશ ચતુર્થી શા માટે ઉજવાય છે? | પર્વની પાઠશાળા
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

હિન્દુ ધર્મમાં પ્રમુખ દેવતાઓ માંથી એક એટલે ગણેશ અને તેમનો જન્મદિવસ એટલે કે ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્થી એ જ ‘ગણેશ ચતુર્થી’. આમ તો તેમના બાર, એકસો આઠ અને એક હજાર આઠ નામ છે. પરંતુ મુખ્ય રૂપથી તેઓ સર્વે દેવગણના ‘ઇશ’ એટલે ગણેશ, દેવ ગણોના અધિપતિ એટલે ‘ગણપતિ’, વિઘ્નને હરનારા ‘વિઘ્નહર્તા’ અને નાના-મોટા સૌના લાડીલા ‘ગણપતિ બપ્પા’ એમ વિવિધ નામો થી ઓળખાય છે. તેમના દરેક નામનો વિશિષ્ટ અર્થ અને વિશિષ્ટ મહિમા છે. કોઈ પણ પ્રાંત હોય, રાજ્ય હોય કે કોઈ પણ સંપ્રદાય; ભગવાન ગણેશ સર્વાનુમતે દરેક શુભ કાર્ય પહેલા પૂજાય છે. સનાતન સંસ્કૃતિ માં તેમનું આગવું સ્થાન છે. એટલે જ ‘ગણેશ ચતુર્થી’ ફક્ત એક પર્વ નહીં પણ પરંપરા છે એમ કહી શકાય. કે જે વર્ષોથી ચાલતી આવી છે. પર્વની પાઠશાળા માં આપણે જાણીશું ‘ગણેશ ચતુર્થી’ નું મહત્વ અને તેમના જન્મની કથા!
કઈ રીતે ઉજવાય છે ગણેશ ચતુર્થી?
આ વર્ષે ૨૦૨૪ માં ગણેશ ચતુર્થી નો પર્વ ૭ મી સપ્ટેમ્બર થી શરૂ થઈ રહ્યો છે. જે સામાન્ય રીતે દસ દિવસ સુધી ચાલે છે. ગણેશ ચતુર્થી લોકો વ્યક્તિગત અને સમૂહમાં એમ બંને રીતે ઉજવે છે. ઘરમાં, શેરી, ચોક અને સોસાયટીના આંગણે મંડપ બંધાય છે. ફૂલો અને રંગીન લાઇટ ના અવનવા શણગાર થાય છે. પરિવારજનો અને સૌ લોકો સાથે મળીને વાજતે ગાજતે ગણપતિ બાપ્પાની સુંદર મનોહર મૂર્તિ લઈ આવે છે. વિધિવત પૂજા સાથે મૂર્તિની સ્થાપના થાય છે અને પછી પૂજા, આરતી, ભોગ અને પ્રસાદનો ક્રમ ચાલુ રહે છે. ઉત્સાહી વર્ગમાં વળી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવણી પણ જોવા મળે છે. આમ ત્રણ, પાંચ કે દસ દિવસ સુધી ગણપતિ બાપ્પાની સેવા કરી નિશ્ચિત મુહૂર્તમાં વિસર્જન કરવામાં આવે છે. લોકોને પૂર્ણ શ્રદ્ધા હોય છે કે ગણપતિના આગમન સાથે જ સૌનું મંગળ થશે અને વિઘ્નો દૂર થઈ જશે. તો વળી વાજતે ગાજતે વિસર્જન માં પણ બાપ્પાને આવતા વર્ષે ફરી આવવાની પ્રતિક્ષા રહે છે. કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાન ગણેશની પૂજા થાય છે. ભગવાન ગણેશને જ્ઞાન બુદ્ધિ ના દેવ કહ્યા છે. તેમના મોટા કાન મનુષ્યને ઉત્તમ શ્રોતા બનવાની અને મોટું પેટ જ્ઞાન ગ્રહણ કરવાની પ્રેરણા આપે છે. તે સૌનું મંગળ કરનારા અને સંકટ દૂર કરનારા દેવ છે. ગણેશ ચતુર્થીમાં ભક્તો વ્રત અને ઉપવાસ દ્વારા પણ ભક્તિ કરે છે. જે મનોવાંછિત ફળ આપનારી છે. દરેક પૂજા અને હોમ હવનમાં તેમજ દીપ પ્રાગટ્ય પર પ્રથમ ગણપતિનું આ શ્લોક સાથે સ્મરણ થાય છે.

“વક્રતુંડ મહાકાય સુર્યકોટી સમપ્રભ
નિર્વિઘ્નં કુરુમે દેવ સર્વ કાર્યેષુ સર્વદા ॥”
ગણેશ મંત્ર ૧૦૮
શું છે ગણેશ જન્મની કથા?

ગણેશ ચતુર્થી એટલે કે ભગવાન ગણેશના જન્મદિવસની કથા એ સૌની પ્રિય કથા છે. પુરાણ અનુસાર એક વાર માતા પાર્વતી ભગવાન શંકરની ગેરહાજરીમાં પોતાના શરીર પર લગાવેલા ઉબટનથી એક બાળકની મૂર્તિનું નિર્માણ કરી તેમાં પ્રાણ ઉમેરે છે આમ, ‘ગૌરી પુત્ર’ નો જન્મ થાય છે. સ્નાન કરવા જતા પહેલા માતા પાર્વતી તેમને દ્વાર પર રક્ષક બની કોઈને પણ અનુમતિ સિવાય પ્રવેશ ના આપવાનો આદેશ આપે છે. એવામાં ભગવાન શંકર પધારે છે ત્યારે ગૌરી પુત્ર તેમને રોકી રાખે છે. મહાદેવ અને ગૌરી પુત્ર વચ્ચે વિવાદ સર્જાય છે જેમાં માતાની આજ્ઞાનું પાલન કરવા માટે તેઓ ભગવાન શંકરની કોઈ વાત માનતા નથી. પરિણામે બંને વચ્ચે યુદ્ધ સર્જાય છે અને ક્રોધવશ મહાદેવ ત્રિશૂલ પ્રહારથી ગૌરી પુત્રનું મસ્તક શરીર થી અલગ કરી દે છે. આ દુર્ઘટના થી માતા પાર્વતી અત્યંત વ્યથિત થાય છે. ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સહિત સૌ દેવો પ્રગટ થઈ સમસ્યા ઉકેલવા માટે પ્રયત્ન કરે છે. મહાદેવ દેવતાઓ ને આદેશ આપે છે કે કોઈ પણ બાળક કે જેની માતા તેની વિરુદ્ધ દિશામાં મોઢું રાખી બેઠી હોય, તેનું મસ્તક લઈ આવવું. આદેશ અનુસાર દેવોને સૌ પ્રથમ એક હાથણી અને તેનું બાળક મળ્યું એટલે તેઓ બાળ હાથીનું મસ્તક લઈ આવ્યા. મહાદેવ એ એ હાથીના મસ્તકને ગૌરી પુત્ર ના દેહ સાથે જોડી પ્રાણ આપ્યા. આમ હાથીના મુખવાળા ‘ગજાનન’ નો પુનઃ જન્મ થયો.
બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ સહિત બધા જ દેવો એ તેમને અપાર શક્તિ આપી. તેઓ સર્વે દેવતાઓના અધિપતિ તરીકે ‘ગણપતિ’ થયા. તેમને સૌના વિઘ્નો અને સંકટ દૂર કરવાનો વરદાન મળ્યો. સૌની બુદ્ધિ અને જ્ઞાન ના અધિષ્ઠાતા હોવાનો પદ મળ્યો. દરેક પૂજા હોમ હવન અને યજ્ઞ માં પ્રથમ સ્થાન મળ્યું અને એ દિવસ ‘ગણેશ ચતુર્થી’ રૂપે સદાકાળ માટે ઉજવવામાં આવ્યું.
શા માટે થાય છે ગણેશ વિસર્જન?
જો કે ગણેશ ચતુર્થી સાથે ‘અનંત ચતુર્દર્શી’ ના થતાં ગણેશ વિસર્જન સાથે પણ પૌરાણિક કથા જોડાયેલી છે. ‘પર્વની પાઠશાળા’ માં અગાઉ આપણે જોયું કે મહાભારત લખતી વખતે ભગવાન ગણેશ લેખક અને વેદ વ્યાસ કથાકાર બન્યા. શરતો અનુસાર વ્યાસ એક પણ ક્ષણ ના વિલંબ વિના સળંગ કથા કહી રહ્યા હતા અને વિશ્રામ વિના જ ગણેશ લખી રહ્યા હતા તેથી બરાબર દસમાં દિવસે શ્રી ગણેશના શરીરનું તાપમાન વધતું ગયું. જેથી વ્યાસ એ તેમને જળમાં બેસાડી સ્નાન કરાવ્યું. એ કથા અનુસાર ગણેશ ચતુર્થીના દસ દિવસ પછી વિસર્જન કરવાની માન્યતા પાળવામાં આવે છે.

ગણેશ પ્રાર્થના
ક્યારે છે ગણેશ ચતુર્થી?
આ વર્ષે ૨૦૨૪ માં ગણેશ ચતુર્થી નો પર્વ ૭ મી સપ્ટેમ્બર થી શરૂ થઈ રહ્યો છે.
ગણેશ ભગવાન ના બીજા નામ કયા છે?
મુખ્ય રૂપથી તેઓ સર્વે દેવગણના ‘ઇશ’ એટલે ગણેશ, દેવ ગણોના અધિપતિ એટલે ‘ગણપતિ’, વિઘ્નને હરનારા ‘વિઘ્નહર્તા’ અને નાના-મોટા સૌના લાડીલા ‘ગણપતિ બપ્પા’ એમ વિવિધ નામો થી ઓળખાય છે.
ગણેશ ચતુર્થી માં શું કરવું?
ગણેશ ચતુર્થીમાં ભક્તો વ્રત અને ઉપવાસ દ્વારા પણ ભક્તિ કરે છે. ગણપતિની સ્થાપના કરે છે. પૂજા, આરતી અને ભોગ લગાવે છે. ભગવાન ગણેશની ભક્તિ મનોવાંછિત ફળ આપનારી છે.
ગણેશ નો જન્મ કેવી રીતે થયો?
પુરાણ અનુસાર એક વાર માતા પાર્વતી ભગવાન શંકરની ગેરહાજરીમાં પોતાના શરીર પર લગાવેલા ઉબટનથી એક બાળકની મૂર્તિનું નિર્માણ કરી તેમાં પ્રાણ ઉમેરે છે આમ, ‘ગૌરી પુત્ર ગણેશ’ નો જન્મ થાય છે.
ગણેશના પત્નીનું નામ શું છે?
રિદ્ધિ અને સિદ્ધિ ભગવાન ગણેશના પત્ની છે.
ગણેશના પુત્રોનું નામ શું છે?
શુભ અને લાભ તેમના પુત્રો છે.
ગણેશ એટલે શું?
સર્વે દેવગણના ‘ઇશ’ એટલે ગણેશ. ગણેશ એ ભગવાન ગણપતિ નું એક નામ છે.
ગણેશના માતા-પિતા કોણ છે?
ગણેશના માતા-પિતા ભગવાન શિવ અને પાર્વતી છે.
ગણેશના ભાઈ કોણ છે?
ભગવાન કાર્તિકેય ગણેશ ના ભાઈ છે.
ગણેશના બહેન કોણ છે?
ગણેશના બહેનનું નામ અશોક સુંદરી છે.
ભગવાન ગણેશનું વાહન શું છે?
ભગવાન ગણેશનું વાહન મૂષક છે.
ભગવાન ગણેશને શું ભોગ ધરાય?
ભગવાન ગણેશને મોદક અને લાડુ ખૂબ પ્રિય છે.