ગૌરી વ્રતનો મહિમા | માતા ગૌરીની કથા | પર્વની પાઠશાળા
કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર
ગૌરી વ્રતથી મળશે મનોવાંછિત જીવનસાથી!
)
માતા ગૌરીને પૂજા, આરાધના અને વ્રત થકી પ્રસન્ન કરવાની પરંપરા એટલે ‘ગૌરી વ્રત’. ખાસ કરીને ગુજરાતમાં કન્યાઓ અને મહિલાઓ દ્વારા રંગે ચંગે ઉજવાતા ‘ગૌરી વ્રત’ ને ‘મોળાકાત’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રત દરમિયાન અલૂણાં એટલે કે મીઠા વિનાના ઉપવાસ કરવામાં આવે છે. અષાઢ સુદ અગિયારસ અર્થાત ‘દેવશયની’ એકાદશીથી શરૂ થતો આ વ્રત પૂર્ણિમા સુધી પાંચ દિવસનો હોય છે. જે દરમિયાન માતા ગૌરી અને મહાદેવની પૂજા થાય છે. ‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું આ વ્રત વિશેની રોચક વાતો અને દેવી ગૌરીની કથા! ગૌરી વ્રત કે મોળાકાત કરવાથી કુંવારી કન્યાઓને મનોવાંછિત જીવનસાથી મળે છે, તો પરિણીત મહિલાઓને સુખી અને સમૃદ્ધ ગૃહસ્થ જીવન મળે છે.
કેવી રીતે કરાય ‘ગૌરી વ્રત’?

સામાન્ય રીતે છોકરીઓ જ્યારથી સમજતી થાય છે ત્યારથી જ માતા એમને ગૌરી વ્રત અને મોળાકાત રાખવા તૈયાર કરે છે. જેમાં ત્રણ કે પાંચ દિવસ વ્રત ધારણ કરી ઉજવણી કરવામાં આવે છે. વ્રતનો આ ક્રમ ત્રણ કે પાંચ વર્ષ સુધી સળંગ જાળવવામાં આવે છે. વ્રતનો સંકલ્પ લેનાર કન્યાઓ અને મહિલાઓ સવારે વહેલા ઉઠીને, સ્નાન કરીને સુંદર અને સ્વચ્છ વસ્ત્રો પહેરી શણગાર કરે છે. ત્યારે બાદ ઘરમાં નીજ મંદિરે અથવા સ્થાનિક મંદિરે ગૌરી માતાની પૂજા કરીને વ્રત કરવાનો સંકલ્પ વાળે છે. સ્વચ્છ માટીથી શિવ અને પાર્વતીના પ્રતિક બનાવીને વિશેષતઃ લાલ ફૂલ, અશ્વગંધા કે કસ્તુરી ફૂલથી પૂજન અર્ચન તેમજ ગૌરી વ્રતની કથાનો પાઠ કરે છે. ત્યારબાદ આરતી કરીને ગૌરી માતાને ભોજન અર્પિત કરવામાં આવે છે. આ ઉપરાંત કળશમાં માટી ભરી, તેની પૂજા કરી અને તેમાં જવના દાણા વાવીને ‘જવારા’ કરવાનો પણ વિશેષ મહત્ત્વ હોય છે. આ પાંચ દિવસ દરમિયાન રોજ જવારાને પાણી આપીને પૂજા કરવામાં આવે છે. કારણ કે જવારા એ માતાનું જ સ્વરૂપ અને સુખ સમૃદ્ધિનું પ્રતિક છે. વળી કન્યાઓ અને મહિલાઓમાં સમૂહમાં આ બધી પ્રવૃત્તિઓ કરવાનો ચલણ પણ જોવા મળે છે. આ સાથે જ ખેતર ખેડવાની વિધિ પણ પ્રચલિત છે. જેમાં બધા બહેનો સાથે મળીને જમીનમાં ચાસ પાડી ગીત ગાઈને ખેતર ખેડવાની પ્રતીકાત્મક ભૂમિકા ભજવે છે. જેમ માતા ગૌરીને ઉપવાસ અને તપથી મહાદેવ મળ્યા એમ સૌ કન્યાઓને પણ આ વ્રત થકી મનગમતો ભરથાર મળશે એવો પૂર્ણ વિશ્વાસ હોય છે. મહાદેવ માટે માતા ગૌરી એ જે તપ કર્યું એની કથા જાણવા જેવી છે.
ત્યારથી તેઓ કહેવાયા ‘મહા ગૌરી’!

પૌરાણિક કથાઓ અનુસાર આદિ શક્તિ સ્વયં પર્વતરાજ હિમાલયને ઘરે પુત્રી રૂપે જન્મ્યા અને પર્વત ના પુત્રી એટલે ‘પાર્વતી’ નામે ઓળખાયા. માતા પાર્વતીને મન પહેલાથી ભગવાન શિવ પ્રત્યે ભક્તિ અને પ્રેમ હતો. ભગવાન શિવને પામવા માટે તેઓ માતા-પિતાની આજ્ઞા લઈને હિમાલયના પર્વતો પર ગયા અને ત્યાં કઠોર તપ આરંભ્યો. ત્યાં તેઓ શિવલિંગની વિધિવત પૂજા અર્ચના અને ધ્યાન કરવા લાગ્યા. ધીરે ધીરે કંદ મૂળ અને ફળો ખાઈને શરૂઆત કર્યા બાદ શ્રાવણ માસ દરમિયાન તેમણે સદંતર ઉપવાસ ધારણ કર્યું. અન્ન જળનો ત્યાગ કરી એક પણ ફળ કે પર્ણ (પાંદડું) ખાયા વિના તેઓ ઘોર તપસ્યામાં લીન થયા. માટે તેમને ‘અપર્ણા’ નામે પણ ઓળખવામાં આવે છે. કઠોર તપને પરિણામે તેમનું શરીર દુર્બળ અને કાળું થઈ ગયું. પરંતુ મહાદેવને પામવાનો એમનો સંકલ્પ ક્ષીણ થયો નહીં. તપ મધ્યે ભગવાન શિવ એ એમની ખૂબ પરીક્ષા કરી. કહેવાય છે કે એક દિવસ નદીમાં સ્નાન કરતાં સમયે તેમણે એક મગરને બાળકનો શિકાર કરતાં જોયું. એ નાના બાળકને છોડવા માટે તેમણે મગરને વિનંતી કરી. મગર એ જણાવ્યું કે પોતે વ્રતને કારણે દિવસના એ ભાગમાં મળેલ ભોજન જ આરોગે છે અને પછી ઉપવાસ કરી તપ કરે છે. ત્યારે માતા પાર્વતી એ બાળકને બદલે પોતે સહાય કરશે એવો વચન આપ્યો. મગર એ બાળકને છોડી દીધું અને તેના બદલામાં પાર્વતી પાસે હમણાં સુધીના તપનું ફળ માંગ્યું. માતા પાર્વતી એ એક ક્ષણ પણ વિચાર કર્યા વિના તરત જ સંકલ્પ કરીને પોતાના તપનું સંપૂર્ણ ફળ એ મગરને આપી દીધું. ત્યારે મગરનાં રૂપમાંથી સ્વયં ભગવાન મહાદેવ પ્રગટ થયા. માતા મહાદેવના દર્શન કરી ધન્ય થયા. માતા પાર્વતીએ અજાણતા પણ તપનું ફળ શિવને જ અર્પણ કર્યું હતું. ભગવાન શિવ પણ પાર્વતીની ભક્તિ, પ્રેમ, દયા, પરોપકાર અને મંગળકામના જોઈ પ્રસન્ન થયા. પૂર્ણિમાને એ દિવસ તપથી ક્ષીણ થઈ ગયેલા પાર્વતીને મહાદેવ એ ‘ગૌર વર્ણ’ નો વરદાન આપ્યું. જેથી તેઓ પુનઃ સુંદર અને સ્વરૂપવાન થયા. ત્યારથી જ તેઓ ‘મહા ગૌરી’ રૂપે ઓળખાયા. એટલું જ નહીં પરંતુ દેવી પાર્વતીનો પ્રસ્તાવ સ્વીકાર કરી ભગવાન શિવ તેમની સાથે વિવાહ કરવા સંમત થયા. ત્યાર બાદની કથાથી તો સૌ કોઈ પરિચિત છે જ! માતા ગૌરીના તપની મહિમા એ જ સૌ કન્યા અને મહિલાઓને પ્રેરણા આપી છે. એટલે જ ગૌરી વ્રત અને મોળાકાત આજે સ્ત્રીવર્ગ માટે એક વિશેષ પરંપરા બન્યા છે.
શું છે ગૌરી વ્રત?
માતા ગૌરીને પૂજા, આરાધના અને વ્રત થકી પ્રસન્ન કરવાની પરંપરા એટલે ‘ગૌરી વ્રત’. ખાસ કરીને ગુજરાતમાં કન્યાઓ અને મહિલાઓ દ્વારા રંગે ચંગે ઉજવાતા ‘ગૌરી વ્રત’ ને ‘મોળાકાત’ નામે પણ ઓળખવામાં આવે છે. કારણ કે આ વ્રત દરમિયાન અલૂણાં એટલે કે મીઠા વિનાના ઉપવાસ કરવામાં આવે છે.
ક્યારે શરૂ થયા છે ગૌરી વ્રત?
અષાઢ સુદ અગિયારસ અર્થાત ‘દેવશયની’ એકાદશીથી શરૂ થતો આ વ્રત પૂર્ણિમા સુધી પાંચ દિવસનો હોય છે.
કેવી રીતે થાય ગૌરી વ્રતની પૂજા?
વ્રતનો સંકલ્પ લેનાર કન્યાઓ અને મહિલાઓ સવારે વહેલા ઉઠીને, સ્નાન કરીને સુંદર અને સ્વચ્છ વસ્ત્રો પહેરી શણગાર કરે છે. ત્યારે બાદ ઘરમાં નીજ મંદિરે અથવા સ્થાનિક મંદિરે ગૌરી માતાની પૂજા કરીને વ્રત કરવાનો સંકલ્પ વાળે છે. સ્વચ્છ માટીથી શિવ અને પાર્વતીના પ્રતિક બનાવીને વિશેષતઃ લાલ ફૂલ, અશ્વગંધા કે કસ્તુરી ફૂલથી પૂજન અર્ચન તેમજ ગૌરી વ્રતની કથાનો પાઠ કરે છે. ત્યારબાદ આરતી કરીને ગૌરી માતાને ભોજન અર્પિત કરવામાં આવે છે.
ગૌરી વ્રતમાં કઈ રીતે થાય જવારા?
ગૌરી વ્રતમાં કળશમાં માટી ભરી, તેની પૂજા કરી અને તેમાં જવના દાણા વાવીને ‘જવારા’ કરવાનો પણ વિશેષ મહત્ત્વ હોય છે. આ પાંચ દિવસના વ્રત દરમિયાન રોજ જવારાને પાણી આપીને પૂજા કરવામાં આવે છે.
કોણ છે માતા પાર્વતી?
પૌરાણિક કથાઓ અનુસાર આદિ શક્તિ સ્વયં પર્વતરાજ હિમાલયને ઘરે પુત્રી રૂપે જન્મ્યા અને પર્વત ના પુત્રી એટલે ‘પાર્વતી’ નામે ઓળખાયા.
શા માટે માતા પાર્વતીને ‘અપર્ણા’ કહેવામાં આવે છે?
ભગવાન શિવને પામવા માટે માતા પાર્વતીએ કઠોર તપ આરંભ્યો. ધીરે ધીરે કંદ મૂળ અને ફળો ખાઈને શરૂઆત કર્યા બાદ શ્રાવણ માસ દરમિયાન તેમણે સદંતર ઉપવાસ ધારણ કર્યું. અન્ન જળનો ત્યાગ કરી એક પણ ફળ કે પર્ણ (પાંદડું) ખાયા વિના તેઓ ઘોર તપસ્યામાં લીન થયા. માટે તેમને ‘અપર્ણા’ નામે પણ ઓળખવામાં આવે છે.
માતા પાર્વતીને શા માટે કહેવાય છે ‘મહા ગૌરી’?
માતા પાર્વતીએ મહાદેવને પામવા માટે કઠોર તપ કર્યું. જેના પરિણામે તેમનું શરીર ક્ષીણ થઈને કાળું પડી ગયું. તપથી પ્રસન્ન થઈ મહાદેવ એ પાર્વતી ને ‘ગૌર વર્ણ’ નો વરદાન આપ્યું. જેથી તેઓ પુનઃ સુંદર અને સ્વરૂપવાન થયા. ત્યારથી જ તેઓ ‘મહા ગૌરી’ રૂપે ઓળખાયા.
મોળાકત ક્યારે છે?
મોળાકત વ્રતને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે. આ વ્રત આ વર્ષે 17 જુલાઈથી 21 જુલાઈ સુધી રાખી શકાશે.