કૉલમ: પર્વની પાઠશાળાગુજરાતી મિજાજ વિશેષધર્મ/અધ્યાત્મસાહિત્ય

શ્રાવણ માસની મહિમા, મહત્વ અને કથા | શ્રાવણ સોમવાર વિશેષ | પર્વની પાઠશાળા

કૉલમ: પર્વની પાઠશાળા | લેખક: ડૉ. કૃપેશ ઠક્કર

ભગવાન શિવને અતિ પ્રિય એવા પાવન શ્રાવણ માસનો હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. પવિત્ર ચાતુર્માસ દરમિયાન આવતા શ્રાવણ મહિનામાં મુખ્યત્વે મહાદેવ અને દેવી પાર્વતીની આરાધના થાય છે. આ મહિનાની પૂર્ણિમાએ શ્રવણ નક્ષત્ર આવતો હોવાથી તેને ‘શ્રાવણ’ કહેવામાં આવે છે. ‘પર્વની પાઠશાળા’ માં આપણે જાણીશું શ્રાવણ માસનો મહિમા અને એની રોચક કથા.

માતા પાર્વતી એ પણ શ્રાવણમાં કર્યું કઠોર તપ!

મહાભારતના અનુશાસન પર્વમાં સપ્તઋષિ માંથી એક એવા અંગિરા ઋષિએ શ્રાવણ માસનો મહિમા જણાવતા કહ્યું હતું કે જે વ્યક્તિ શ્રાવણ દરમિયાન મન અને ઇન્દ્રિયોને કાબુમાં રાખીને એક સમય ભોજન કરવાનું નિયમ રાખે તેમને અનેક તીર્થોમાં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. માટે શ્રાવણમાં લોકો મોટે ભાગે વ્રત અને ઉપવાસ કરતાં હોય છે. ખાસ કરીને કુમારીકાઓ અને કુંવારા યુવાનો પણ મનવાંછિત જીવનસાથી પામવા માટે સોમવારના ઉપવાસ અને શિવ પૂજા કરે છે. કારણ કે સ્વયં મહાદેવને પામવા માટે માતા પાર્વતી એ પણ શ્રાવણ માસમાં કઠોર તપ કર્યું હતું. જેના ફળસ્વરૂપ મહાદેવ એ પાર્વતીને પોતાની અર્ધાંગિની રૂપે સ્વીકાર્યા. શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધ, ગંગાજળ, મધ અને પંચામૃતનો અભિષેક કરવાથી પણ વિશેષ લાભ મળે છે. ભક્તજનો શિવ મહિમ્ન સ્તુતિ, શિવ પંચાક્ષર સ્તોત્ર, શિવ માનસ પૂજા, રુદ્રાભિષેક હોમ અને શિવ મંત્રની માળા કરીને પોતાની અનન્ય ભક્તિ અર્પિત કરે છે. આ મહિના દરમિયાન તપ અને દાન કરવાથી પણ કલ્યાણ થાય છે. માટે લોકો મંદિર પાસે બેઠેલા યાચકો ને અન્ન,ફળો કે વસ્ત્ર દાન કરતાં હોય છે તો બ્રાહ્મણો તેમજ શ્રદ્ધાળુઓને ભોજન કરાવવામાં તત્પર રહે છે.

સરળતાથી પ્રસન્ન થઈ જાય છે મહાદેવ!

આ ઉપરાંત શ્રાવણમાં ગૌ સેવા અને ગૌ પૂજન કરવાનો પણ અત્યાધિક મહિમા હોય છે. આ મહિના દરમિયાન લોકોમાં પરિવાર સાથે ત્રણ, પાંચ, સાત કે એકવીસ શિવ મંદિરોના દર્શન કરવાના નિયમ પણ કેળવાય છે. દરેક શિવ મંદિરોમાં આ પૂરા મહિના દરમિયાન વિશેષ શણગાર, ભસ્મ આરતી અને ભજન ડાયરા જેવા કાર્યક્રમો યોજાય છે. તો વળી યુવાનો માં શિવ ભજન સાંભળવાનો અને રોજ શિવ મંદિરે દર્શન કરવાનો આગ્રહ તો હોય જ છે. આમ તો મહાદેવને ‘આશુતોષ’ અર્થાત સરળતાથી પ્રસન્ન થનારા કહ્યા છે. કારણ કે એ તો ફક્ત એક લોટો જળ, ભસ્મ નો એક તિલક કે પછી ભાવ પૂર્વક ચડાવેલ એક બિલી પત્ર થી પણ પ્રસન્ન થઈ જાય છે. એવામાં જો ભગવાન શિવ પર નાના પ્રકારના અભિષેક કરવામાં આવે તો ભોળા ભંડારી પ્રસન્ન થઈ મનની ઈચ્છાઓ પૂર્ણ કરે છે. જો કે આ વાત પાછળની કથા પણ રોચક છે.

સમુદ્ર મંથનની કથા.

આ એ સમયની વાત છે જ્યારે ઋષિ દુર્વાસાના શ્રાપથી ઇન્દ્ર રાજા અને સ્વર્ગ ‘શ્રી હીન’ થઈ ગયું. ત્યારે એમની બધી જ શક્તિઓ, ઐશ્વર્ય અને લક્ષ્મી મહાસાગરમાં સમાઈ ગયા. ત્યારે એ વાતનો ફાયદો લેતા અસૂરો એ સ્વર્ગ પર આક્રમણ કર્યો. દેવતાઓ ત્યાંથી ભગવા માટે મજબૂર થયા. અમર કરનારો અમૃત કળશ અસૂરોને હાથ ન લાગે એટલે દેવતાઓ એ અમૃત કળશ લઈ નાસી રહ્યા હતા. એવામાં અકસ્માતે એ કળશ મહાસાગરમાં પડી ગયો. આ અમૃતની જરૂર તો દેવતાઓ અને અસૂરો બંનેની હતી. માટે સૌ સાથે મળીને બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ પાસે ગયા. ત્યાં અમૃત પાછું મેળવવા માટે સમુદ્ર મંથન કરવાનો નિર્ણય લેવાયો. ભગવાન વિષ્ણુ કૂર્મ અવતાર લઈ પીઠ પર મંદ્રાચલ પર્વત ધારણ કરી સમુદ્રમાં બેઠા. વાસુકિ નાગની રસી બનાવી સૌ દેવો અને અસૂરોએ મંથન કરવાનું શરૂ કર્યું.

સૌના કલ્યાણ માટે વિષ પી ગયા મહાદેવ!

આ રીતે સમુદ્ર મંથન કરવાથી હળાહળ વિષ બહાર આવ્યું. સૌ દેવો અને અસુરો એ ચિંતિત થઈ અને મહાદેવને પ્રાર્થના કરી. ત્યારે ભોળા ભંડારી મહાદેવએ સૌનું કલ્યાણ કરવા માટે એ વિષ પી ને કંઠે ધારણ કર્યું. એ વિષ થી એમનું કંઠ નીલા રંગનું થઈ ગયું એટલે તેઓ ‘નીલકંઠ’ કહેવાયા. એ વીષની ગરમીથી તેઓ વ્યાકુળ થયા. એવું કહેવાય છે કે તેમને શીતળતા આપવા માટે ચંદ્રદેવ અને દેવી ગંગા તેમના મસ્તક પર વિરાજ્યા અને સૌ દેવો એ મળીને તેમના પર અભિષેક કર્યું. શ્રાવણ માસ દરમિયાન થયેલી આ ઘટના ને કારણે જ શિવ અભિષેકને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માટે જ તો પ્રકૃતિ સ્વયં પણ વર્ષાઋતુ થકી અભિષેક કરવાના પુણ્યમાં સહભાગી થાય છે.

સ્કંદ પુરાણમાં સ્વયં ભગવાન શિવ એ સનતકુમારોને કહ્યું છે કે શ્રાવણ મહિનાની દરેક તિથી વ્રતની તિથી છે અને દરેક દિવસ એક પર્વ છે, ઉત્સવ છે. ખરેખર આ મહિના સાથે એવા વિવિધ અવસરો જોડાયેલા છે જેમનું સનાતન સંસ્કૃતિમાં વિશેષ મહત્ત્વ છે. એ અવસરો અને તેમની કથા વિશે વાત કરતાં રહીશું પર્વની પાઠશાળામાં.


SHRAVAN SOMVAR SPECIAL SONG
SHRAVAN MAAS MANTRA JAAP

ક્યારથી શરુ થશે પવિત્ર શ્રાવણ મહિનો?

ગુજરાતમાં શ્રાવણ મહિનો 5 ઓગસ્ટ 2024થી શરુ થશે.

આ વખતે શ્રાવણ મહિનો કેમ ખાસ છે?

પૂરા શ્રાવણ મહિના દરમિયાન વિશેષ શણગાર, ભસ્મ આરતી અને ભજન ડાયરા જેવા કાર્યક્રમો યોજાય છે. તો વળી યુવાનો માં શિવ ભજન સાંભળવાનો અને રોજ શિવ મંદિરે દર્શન કરવાનો આગ્રહ તો હોય જ છે. આ વખતે શ્રાવણ માસની શરુઆત સોમવારના દિવસથી જ થાય છે અને સોમવારના દિવસે જ શ્રાવણ પુરો થાય છે.

શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે?

આ વર્ષે 5 ઓગસ્ટ 2024, સોમવારથી જ શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. આ વર્ષે પૂર્ણ 5 શ્રાવણ સોમવાર આવી રહ્યા છે.

શ્રાવણમાં મહાદેવની પૂજાનું વિશેષ મહત્ત્વ કેમ છે?

ભગવાન શિવને શ્રાવણ માસ અતિ પ્રિય છે. શ્રાવણ મહિનામાં મુખ્યત્વે મહાદેવ અને દેવી પાર્વતીની આરાધના થાય છે.